રસુલે ખુદા (સ.અ.વ.)ની ભરોસાપાત્રતા

વાંચવાનો સમય: 5 મિનિટ

સુરએ માએદાહની 67 મી આયત ખાસ ધ્યાન આપવા બાબત છે કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.)ના તબ્લીગના 23 વર્ષો દરમ્યાન આપ (સ.અ.વ.) એ ઈલાહી પૈગામને પહોંચાડવા માટે દુશ્મની અને વિરોધમાં ભારે તકલીફો અને ઝહેમતો ઉપાડી હતી.

આપ (સ.અ.વ.)એ આપની નબુવ્વતના પહેલા હિસ્સા દરમ્યાન આપની જાન જોખમમાં મુકીને દુશ્મનોની વચ્ચે મક્કા અને તાએફમાં તબ્લીગ કરી અને ત્યારપછી બીજા હિસ્સામાં એક પછી એક જંગ અને હિજરતનો સામનો કર્યો. વધુમાં જ્યારે વાસ્તવમાં સમગ્ર અરબ જગતે રસુલે ખુદા (સ.અ.વ.)ના પૈગામને કબુલ કર્યો અને ઈસ્લામ પ્રબળ સત્તા બની, અલ્લાહે વાયદો કર્યો કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને લોકોના શર્રથી મહેફુઝ રાખશે જ્યારે કે મોટાભાગના અરબોએ ઈસ્લામનો સ્વિકાર કર્યો હતો, તો પછી અલ્લાહના રસુલે ખુદા (સ.અ.વ.)ની હિફાઝતના વાયદા પાછળનું રહસ્યને જોવાનું રહ્યું.

આ રહસ્ય ખુદ રસુલે ખુદા (સ.અ.વ.) એ ગદીરના ખુત્બામાં જાહેર કર્યું જ્યારે આપ (સ.અ.વ.) તમામ મુસલમાનોને (હાજર અને ગાએબ)ને સંબોધીને ફરમાવ્યું:

અલ્લાહે મને ચેતવણી આપી છે કે અગર હું તે પૈગામ દેવામાં નિષ્ફળ જાવ જે પૈગામ અલી (અ.સ.)ના બારામાં નાઝીલ થયો છે તો પછી તે એવું છે જાણે કે મેં ઈસ્લામનો કોઈ પૈગામ જ નથી પહોંચાડયો. અલ્લાહે મને લોકોના શર્રથી બચાવવાનો વાયદો કર્યો છે. અલ્લાહ પુરતો અને શ્રેષ્ઠ રહેમ કરનાર છે.

અલ્લાહે મારા ઉપર આયત નાઝીલ કરી:

હે રસૂલ! જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારી તરફ ઉતારવામાં આવ્યું છે તે (લોકો સુધી) પહોંચાડી દે; અને જો તેં તેમ ન કર્યું તો જાણે તેં તેનો (કોઇ પણ) સંદેશો પહોંચાડ્યો જ નહિ; અને અલ્લાહ તને લોકો(ના ત્રાસ)થી સુરક્ષિત રાખશે.

(સુરએ માએદાહ-5, આયત નં. 67)

અય લોકો! મેં ઈલાહી વહીઓ તમારા સુધી પહોંચાડવામાં કયારેય કમી નથી કરી. હું તમને કુરઆનની આ આયત નાઝીલ થવાનું રહસ્ય બયાન કરીશ.

જીબ્રઈલ (અ.સ.) ત્રણ વખત નાઝીલ થયા અને તમામ કાળા અને ગોરા લોકો સમક્ષ ઈલાહી પૈગામ પહોંચાડવા જણાવ્યું કે ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મારા ભાઈ, મારા વારસદાર, મારા જાનશીન અને મારી ઉમ્મતના ખલીફા અને મારા પછી ઈમામ છે. તેઓ મારી પાસે એવાજ છે જેવા કે જનાબે હારૂન (અ.સ.) હઝરત મુસા (અ.સ.) પાસે સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી. અલ્લાહ અને રસુલ (સ.અ.વ.) એ તેમને તમારા ઉપર સત્તા આપી છે.’

આ બારામાં અલ્લાહે કુરઆનમાં એક આયત નાઝીલ કરી છે:

“(હે ઇમાનદારો !) તમારા રક્ષક અલ્લાહ અને તેના રસૂલના સિવાય કોઇ નથી અને તે લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ નમાઝ કાયમ કરે છે તથા રૃકુઅની સ્થિતિમાં ઝકાત આપે છે.

(સુરએ માએદાહ-5, આયત નં. 55)

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) એ છે જેઓએ નમાઝને કાયમ કરી અને રૂકુઅની હાલતમાં ઝકાત અદા કરી અને હંમેશા અલ્લાહની હાજરી મહેસુસ કરે છે.

અય લોકો! મેં જીબ્રઈલ (અ.સ.)ને વિનંતી કરી કે મારી બાબત અલ્લાહ સમક્ષ રજુ કરે અને મને આ મહાન પૈગામ પહોંચાડવાથી રાહત આપે. આ એટલા માટે કે મુત્તકી અને પરહેઝગાર ખૂબજ ઓછા છે અને મુનાફીકો ઘણા છે.

જેઓ ઈસ્લામની પડતી અને તેના સિધ્ધાંતોની મજાક ઉડાવવા ચાહતા હતા તેને બધા જાણે છે. અલ્લાહે તેમનો ઝીક્ર કુરઆનમાં આ રીતે કર્યો છે.

તેઓ પોતાની ઝબાનથી તેવી વાતો કરે છે જે તેમના દિલમાં હોતી નથી. અને તેઓ આને આસાન સમજે છે.

(સુરએ હોજરાત, આયત-11)

તેમાં આશ્ચર્ય નથી કે રસુલે ખુદા (સ.અ.વ.) મુનાફીકોના બદ ઈરાદાથી હંમેશા જાણકાર હતા. તેમનો ભય તેમની પોતાની જાનના જોખમનો ન હતો બલ્કે સૌથી મોટો ભય ઈસ્લામની સલામતી અને સુરક્ષાનો હતો. આપ (સ.અ.વ.) ઈસ્લામનો વિરોધ કરનારાઓ અને ખાનગીમાં ઈસ્લામનો વિનાશ કરવાનું કાવત્રુ ઘડનારાઓ જાણતા હતા અને આ લોકોને હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ખિલાફત સ્વિકાર્ય નથી.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ખિલાફતનો વિરોધ એટલો તીવ્ર હતો કે શકય હતું કે તેમની તીવ્ર દુશ્મનાવટના કારણે તેઓ ઈસ્લામની સામે જાહેરમાં આવી જાય. પછી તેઓ મુકતપણે રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો વિરોધ કરશે અને જેની સ્થાપના ભારે ઝહેમત લઈને કરવામાં આવી હતી તેને અસ્તવ્યસ્ત કરી દેશે.

એ નોંધપાત્ર છે કે ઈસ્લામનો ફેલાવવો (પ્રચાર) સમગ્ર અરબમાં શરૂઆતના વર્ષોમાં થઈ ગયો હતો. અગર મુનાફીકો જેઓ સહાબીઓ સાથે મુકતપણે જોડાઈ ગયા હતા, તેઓ અગર તેમના ચહેરા ઉપરથી નકાબ કાઢી નાખે અને ઈસ્લામ સામે જાહેરમાં બળવો કરે તો તે ઈસ્લામ અને મુસલમાનો માટે ઘણુંજ જોખમી હતું.

આ બાબતના કારણે રસુલે ખુદા (સ.અ.વ.) ચિંતિત હતા અને આપ (સ.અ.વ.) સતત તેની સુરક્ષામાં હતા. આપ (સ.અ.વ.) જાણતા હતા કે આ બાબત (હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ખિલાફત)ની જાહેરાત ભરપાઈ ન થઈ શકે તેવા બનાવો સામે લાવશે. અલબત્ત્, જીબ્રઈલ (અ.સ.) ઈલાહી સુરક્ષાના વાયદા સાથે નાઝીલ થયા અને આવી રીતે ઈલાહી પૈગામ પહોંચાડવામાં આવ્યો.

રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનામાં મુનાફીકોના હાજર હોવાની ગંભીર બાબતથી મોટાભાગના લોકોથી અજાણ હતા કારણ કે તેઓ છુપી રીતે કાર્યરત હતા. કુરઆને મજીદની આશરે 300 આયતો મુનાફીકોના કાવત્રા અને યોજનાઓ ઉપરથી પર્દો હટાવે છે.

આ સમુહની ઉધ્ધતાઈ એક બનાવ ઉપરથી માપી શકાય છે. તબુકની જંગમાં (જે રસુલે ખુદા સ.અ.વ.ની આખરી જંગ હતી) મુનાફીકોના સમુહે 3000 સૈનીકોની એક અલગ ફૌજ તૈયાર કરી જે ફૌજ મુસલમાનોથી અલગ હતી. તે ઉપરાંત, તેઓએ એક મસ્જીદની સ્થાપના કરી અને જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) તબુક તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને તે મસ્જીદના ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું. અલબત્ત અલ્લાહે આયત નાઝીલ કરી કે આ મસ્જીદ નુકશાનકારક મસ્જીદ છે (મસ્જીદે ઝેરાર), કુફ્ર છે અને તે મુસલમાનો દરમ્યાન ઈખ્તેલાફનું કારણ છે.

આ સમુહનું વર્ણન સુરએ તૌબામાં આ રીતે કરવામાં આવ્યું છે:

તેઓ અલ્લાહની કસમ ખાઇ ખાઇને કહે છે કે તેમણે (એવું) નથી કહ્યું, જો કે તેમણે કુફ્રની વાત ઉચ્ચારી હતી, અને તેઓ પોતાના ઇસ્લામ પછી (પાછા) નાસ્તિક થઇ ગયા હતા, અને એવી વાતનો નિશ્ચય કર્યો હતો કે જે કરીજ  ન શક્યા.

(સુરએ તૌબા-9, આયત 74)

એહલે સુન્નત અને શીઆઓની કુરઆનની તફસીરોમાં આ આયત હેઠળ હદીસો નોંધવામાં આવી છે જે સ્પષ્ટપણે સાબીત કરે છે કે મુનાફીકો રસુલે ખુદા (સ.અ.વ.)ને શહીદ કરવા ચાહતા હતા.

(સુરએ તૌબા-9, આયત નં. 74 અને 26 હેઠળ તફસીર અલ કશ્શાફ, બેહારૂલ અન્વાર, ભાગ-21, પા. 223)

ઈતિહાસની કિતાબોમાં નકલ કરવામાં આવ્યું છે કે સૂચિત જગ્યા જ્યાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને શહીદ કરવાની યોજના કરવામાં આવી હતી તે હરશીઆ નામનો પહાડ ઉપર એક નિરર્થક જગ્યા હતી જે ગદીરે ખુમથી મદીના તરફ જતા રસ્તામાં હતી.

જંગે ઓહદમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતની અફવાઓ મુસલમાનો દરમ્યાન ઝડપથી ફેલાણી. અમૂક લોકોને બસ જંગના મૈદાનમાંથી ભાગવા માટે કંઈક બહાનુ જોતું હતું. કુરઆને આવા લોકોની આવી રીતે મઝીમ્મત કરી છે:

મોહમ્મદ (સ. અ. વ.) માત્ર એક રસુલ છે, જેની પહેલાં ઘણાય રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા પાછલા પગે ફરી જશો ? (યાદ રાખો) કે જે પોતાના પાછલા પગે ફરી જશે તે અલ્લાહનું કાંઈ પણ બગાડી શકશે નહિ.

(સુરએ આલે ઈમરાન-3, આયત નં. 144)

આ આયતમાં કુરઆન સ્પષ્ટપણે મુસલમાનોની ઈસ્લામને છોડી તેમના જુના જાહેલીય્યતના સમયના મઝહબ ઉપર પાછા ફરી જવાની શકયતાના બારામાં બયાન કરે છે.

આ ઉપરાંત, શીઆ અને સુન્ની બન્નેની કિતાબોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની સનદોથી હદીસો નકલ કરવામાં આવી છે. જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) આગાહી કરે છે:

“હું અલ્લાહની કસમ ખાઈને કહું છું જેણે મને રસુલ બનાવ્યો. મારી ઉમ્મત અગાઉની ઉમ્મતોનું એ હદે અનુસરણ કરશે કે અગર બની ઇસરાઇલનો એક સાંપ તેના દરમાં દાખલ થશે તો મારી ઉમ્મતમાંથી પણ એક સાંપ તેને દરમાં દાખલ થશે.”

(કમાલુદ્દીન, પા. 572, મજમઉલ બયાન, ભાગ-10, પા. 462)

આ હદીસથી સ્પષ્ટ થાય છે કે મુસલમાનોના કાર્યો બની ઇસરાઇલના કાર્યો સાથે સુસંગત હશે.
બીજી હદીસમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) આગાહી કરે છે:

“અય મુસલમાનો! તમે અગાઉની ઉમ્મતોની સુન્નતો ઉપર ચાલશો અને તેમના રસ્તે અને નકશે કદમને અનુસરશો.”

લોકોએ પુછયું: યહુદી અને ખ્રિસ્તીઓની જેમ?

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું: હું તેની સિવાય બીજાની વાત નથી કરતો.

(મુસ્નદે એહમદ બીન હમ્બલ, 84/943, સહીહ મુસ્લીમ, ભાગ-16, પા. 219, સહીહ બુખારી, ભાગ-2, પા. 171)

ચાલો આપણે યહુદીઓ અને ખ્રિસ્તીઓએ ચુંટેલ રસ્તાના બારામાં પૃથ્થકરણ કરીએ. આના માટે, આપણે કુરઆને મજીદ તરફ રજુ થવું જોઈએ જે પહેલાની ઉમ્મતોના બનાવોનું વર્ણન કરે છે. તે બની ઈસરાઈલના બનાવનું વર્ણન કરે છે, તેઓની પડતી, તેઓ દ્વારા વિવિધ મોઅજીઝાઓ જોવા જેમકે અસા (લાકડી) માંથી સાંપમાં રૂપાંતર, દરિયાનું ચિરાવવું. અંતે, હઝરત મુસા (અ.સ.) એ તેઓને ફિરઔનથી નજાત અપાવી. હઝરત મુસા (અ.સ.) તેઓ સાથે રહ્યા ત્યાં સુધી કે અલ્લાહની ઈબાદત માટે 30 દિવસ સુધી પહાડ ઉપર ગયા અને ઈલાહી હુકમથી તેમાં બીજા 10 દિવસનો વધારો કર્યો. બની ઈસરાઈલ તેમની ગેરહાજરીમાં બેબાકળા થઈને મોટાભાગના મુસલમાનો માને છે કે તેઓમાંના મોટાભાગના લોકો વાછરડાની પૂજા કરવા લાગ્યા. આ ગુમરાહી તેઓમાં ફકત એકજ વ્યકિતની સામરીની ઉશ્કેરણીના કારણે આવી જે જાહેરમાં હઝરત મુસા (અ.સ.)ના નઝદીકના સહાબીમાંથી હતો.

આ બનાવ સાબિત કરે છે કે ઉમ્મત માટે પોતાના નબીનો વિરોધ કરવો અને હિદાયત મેળવવા બાદ કુફ્ર સ્વિકાર કરવો કાંઈ નવી બાબત નથી. અલબત્ત આ બાબત તો આપ (સ.અ.વ.)ની ઝિંદગીમાં પણ બની હતી એ પછી કે આપ (સ.અ.વ.) એ લોકોને ઘણા મોઅજીઝાઓ બતાવ્યા હતા.

આજ રસ્તા ઉપર, રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી ઘણા બધા સહાબીઓ મુનાફીકોના કાવત્રામાં સપડાય ગયા. તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ઈમામતથી ફરી ગયા અને આપ (અ.સ.)ને ઈલાહી હુજ્જત તરીકે ન સ્વિકારી.