હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ

એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ ફઝીલત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નજીકની રિશ્તેદારી છે, જેને કુરઆને સાબિત કરી છે. તેથી અગર સહાબીઓ સહાબીય્યતનો દાવો કરે કે જે ખુદ કોઈ ફઝીલતમાં શુમાર નથી થતી જ્યારે કે ઈમામો (અ.મુ.સ.) શ્રેષ્ઠ છે કારણકે તેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નજીકનો સબંધ હોવાની ફઝીલત ધરાવે છે.

મુનાફીકો આ ફઝીલતમાં હસદ કરે છે અને પછી તેનો ઈન્કાર (રદ) પણ કરે છે.

એક રસપ્રદ બનાવ જે દર્શાવે છે કે આ બંને ઈમામો-ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના નવ મઅસુમ ફરઝંદો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે અને તેનો દાવો આ 11 મઅસુમો સિવાય બીજું કોઈ કરી શકતું પણ નથી. જે કોઈપણ આ ફઝીલતનો ઈન્કાર કરે તેણે કુરઆનનો વિરોધ કર્યો અને તે ઈસ્લામથી બહાર થઈ જાય છે.

ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

અબુલ જારૂદ વર્ણવે છે કે ઈમામ બાકિર (અ.સ.) પૂછયું: અય અબા જારૂદ, લોકો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) વિશે શું અકીદો રાખે છે? અબુ જારૂદ: તેઓ આપ (અ.સ.)ને પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદ તરીકે માનતા નથી.

ઈમામ (અ.સ.): તમે તેઓને શું દલીલ રજુ કરી??

અબુ જારૂદ: કુરઆનની એ આયત કે જેમાં અલ્લાહ (સુ.વ.ત.) હઝરત ઈસા ઈબ્ને મરયમ (અ.સ.)ના વિષે બયાન કરે છે.

અને અમોએ તેને ઈસ્હાક અને યાકુબ અર્પણ કયર્િ અને તે દરેકને સીધો માર્ગ દેખાડયો અને નૂહને પણ તે પહેલા સન્માર્ગ દેખાડયો હતો અને તેની અવલાદમાંથી દાઉદ (અ.સ.) અને સુલૈમાન (અ.સ.) તથા અય્યુબ (અ.સ.) તથા યુસુફ (અ.સ.) તથા મુસા (અ.સ.) અને હારૂન (અ.સ.)ને પણ અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે સારો બદલો આપ્યા કરીએ છીએ. અને ઝકરીયા તથા યહ્યા તથા ઈસા તથા ઈલ્યાસને (સન્માર્ગ દેખાડયો હતો)તેઓમાંથી દરેક સદાચારીઓ માંહેના હતા.

(સુ. અન્આમ, આ. 84-85)

અલ્લાહે હઝરત ઈસા (અ.સ.)ને જનાબે ઈબ્રાહીમ (અ.સ.)ની નસ્લમાં ગણ્યા છે એ છતાં કે ઈસા (અ.સ.)નો જન્મ પિતા વગર જ થયો હતો જ્યારે કે તેની દલીલમાં બીજી કોઈ આયત નથી (એટલેકે તેમના હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના ફરઝંદ માંહેના હોવાની જ્યારે કે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદ હોવાની કુરઆનમાં મુબાહેલાની આયત (સુ. આલે ઈમરાન 61) સ્પષ્ટ છે.

ઈમામ (અ.સ.): આ સાંભળી તેઓ શું કહે છે?

અબુ જારૂદ: તેઓ કહે છે દિકરીના ફરઝંદને પુત્ર તરીકે ગણવામાં આવે પણ તેમના વંશમાં ગણત્રી ન થાય.

ઈમામ (અ.સ.): અય અબુ જારૂદ! અલ્લાહની કસમ, હું તમને કુરઆનની તે આયત બતાવું જેનાથી તમે સાબિત કરી શકશો કે ઈ. હસન (અ.સ.) અને ઈ. હુસૈન (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે પછી તેનો ઈન્કાર કાફીરો સિવાય બીજું કોઈ નહી કરે.

અબુ જારૂદ: મારી જાન આપના ઉપર કુરબાન, તે કઈ આયત છે?

ઈમામ (અ.સ.): “તમારા પર તમારી માતાઓ અને તમારી પુત્રીઓ હરામ કરવામાં આવી છે… અને તમારા તે પુત્રની સ્ત્રીઓ કે તમારા પેટે (અવતરેલા) હોય…

(સુ. નિસા: 23)

અય અબુ જારૂદ! તમે તેઓને પુછો શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની પત્નિઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) માટે હલાલ છે? અગર તેઓ ‘હા’ પાડે તો અલ્લાહની કસમ તેઓ જુઠ્ઠા છે અને અગર ‘ના’ પાડે તો અલ્લાહની કસમ તેઓ બંને (અ.મુ.સ.) પયગમ્બર (સ.અ.વ.)ની વંશમાંથી છે. રસુલે ખુદા (સ.અ.વ.) માટે ઈમામો (અ.સ.)ની પત્નિ સાથે નિકાહ જાએઝ નથી એટલા માટે કે તેણીઓના પતિ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની નસ્લમાંથી છે.’

  • (તફસીરે અલી ઈબ્ને ઈબ્રાહીમ કુમ્મી (ર.અ.), ભાગ-1, પા. 209, કાફી, ભાગ-8, પા. 317, હદીસ 501)

સુરએ નિસાની આયત ઉપરાતં દરેક મુસલમાન એકમત છે કે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) કુરઆને કરીમની મુબાહેલાની આયત પ્રમાણે (આલે ઈમરાન, આયત 61) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે, એટલા માટે કે આપ (સ.અ.વ.) ઈસાઈઓની સામે મુબાહેલામાં પોતાના ફરઝંદો તરીકે બીજા કોઈને લઈ ગયા નથી.

તેવી જ રીતે બધા મઅસુમ ઈમામો (અ.મુ.સ.) જે ઈમામ હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી છે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદ છે તેજ દલીલના આધારે તેઓની પત્નિઓ રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર હરામ છે. આ જ દલીલ ઈમામ મુસા કાઝીમ (અ.સ.) એ હારૂન અબ્બાસી (લ.અ.)ને રજુ કરી હતી.’

(વધુ વિગત માટે ઓયુને અખ્બારે રેઝા, ભાગ-2, પા. 78, અલ એહતેજાજ, ભાગ-2, પા. 161)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*