હઝરત અબુ તાલિબ (અ.સ.)નું ઈસ્લામ (હદીસે ઝહઝાહનું ફારસ)

વાંચવાનો સમય: 4 મિનિટ

અમૂક જાહીલ મુસલમાનો કહે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) જહન્નમમાં (મઆઝલ્લાહ) છે. તેઓ એમ માને છે કે તેઓએ કયારેય ઈસ્લામનો સ્વિકાર કર્યો ન હતો અને તેઓ બેઈમાનીની હાલતમાં મૃત્યુ પામ્યા. આ કારણે અલ્લાહે તેમને સજા કરી છે અને ઘુંટણ સુધી જહન્નમની આગમાં ઉભા રાખ્યા છે કે જેની અસરથી મગજ ઉકળી ઉઠે છે.(મઆઝલ્લાહ).

આમ છતાં એહલે તસન્નુનના અમૂક મધ્યમ માર્ગી સભ્યો કે જેઓ શીઆઓ જેવું મંતવ્ય રાખે છે એટલેકે અબુ તાલિબ(અ.સ.) મોમીન તરીકે મૃત્યુ પામ્યા. બની ઉમય્યાના બની હાશીમ પ્રત્યે દુશ્મનાવટ લીધે આ હદીસ પણ ઘડી કાઢવામાં આવી છે.

જવાબ: જ. અબુ તાલિબ (અ.સ.) પ્રત્યે વેરઝેર ધરાવતી હદીસો બની હાશીમના અને ખાસ કરીને હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.)ના અસંખ્ય સદગુણોનું સીધુ પરિણામ છે. ત્રણ ખલીફા અને તેજ બની ઉમય્યા (કે જેઓ આ ગુણોથી વંચિત હતા)ના કપટનું પરિણામ. જો કે તેઓએ ખિલાફત હડપ કરી લીધી હતી છતાં તેઓ આ સ્થાનને લાયક ગુણો ધરાવતા ન હતા. તેથી તેઓએ બની હાશીમને ખરાબ દર્શાવવા હદીસો ઘડી અને જેનું પરિણામ હઝરત અબુ તાલિબ (અ.સ.) પ્રત્યે ઘડી કાઢેલી જૂઠી હદીસો છે.

ઝહઝાહ (ભડકતી આગ)ની હદીસ:

ચાલો આપણે ઝહઝાહની હદીસ ઉપર વિચાર કરીએ કે જે કહેવાતા મુસલમાનો દ્વારા હઝરત અબુ તાલિબ (અ.સ.)ને ખરાબ ચિતરવા ઉપયોગ કરાય છે.મુસ્લીમ અને બુખારી અબ્દુલ્લાહ ઈબ્ને હારીસથી નકલ કરે છે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસથી કે જે સુફીયાને સુરી અને અબ્દુલ મલીક બીન ઉમૈરના હવાલાથી નકલ કરે છે કે અબ્દુલ્લાહે રસુલુલ્લાહ (સ..વ.)ને પુછ્યું કે જ.અબુતાલીબે આપની હિફાઝતની જવાબદારી લીધી હતી અને આપની ખાતર (કુફ્ફારે કુરેશ- નાસ્તિકો)થી ગુસ્સે થયા  શું આપે તેમની કોઈ જરૂરીયાતને પૂરી કરી?.

આપ (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: “તેઓ તેમના પગ સુધી જહન્નમની આગમાં છે. અગર હું ન હોત તો તેઓ તેના સૌથી નીચે દરજ્જામાં હોત”

બીજી હદીસમાં એમ કહેવામાં આવ્યું છે કે મેં તેમને પુછયું કે  અબુતાલિબ અ.સ.એ આપનું રક્ષણ કર્યું અને આપ સ.અ.વ.ની હિફાઝત કરી તેના કારણે તેને શું બદલો મળ્યો?

આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “મેં તેમને જહન્નમમાં સંપૂર્ણપણે ડુબેલા જોયા. હું તેમને તે જગ્યાએ લઈ આવ્યો જ્યાં આગ માત્ર પગની ઘુંટી સુધી પહોંચે છે.”

લય્સ ઈબ્ને ઈલ્હાદ અબ્દુલ્લાહ ઈબ્ને હનબે અબુ સઈદ ખુદરીથી નકલ થયુ છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.અ.) એ કહ્યું કે કદાચ તેમની દરમિયાનગીરીથી ન્યાયના દિવસે અબુ તાલિબ (અ.સ.) ને ફાયદો થશે જ્યારે હવે તે તેના પગની ઘૂંટી સુધી જહન્નમમાં છે જે તેના મગજને ઉકળે છે.

શું ઉપરોક્ત રાવીઓ ભરોસાપાત્ર છે?

અલ્લામાં અમીની અ.ર. એ અમુક હદીસોને પોતાની કિતાબ અલ ગદીરમાં સવિસ્તાર ચર્ચા કરેલ છે.

અહીં આપણે મુસ્લીમ અને બુખારીમાં વર્ણવવામાં આવેલ હદીસવેતાઓની શ્રૃંખલાની સમીક્ષા કરશું.

બંને હદીસવેતાઓની અંગે અલ્લામા અમીનીના દ્રષ્ટિકોણને રજુ કરીએ છીએ:

  • સુફ્યાન સુરીને અવિશ્વસનીય માનવામાં આવે છે અને તે અહલેબેત અ.મૂ.સ.નો વિરોધીતો – આ હકીકત તમામ મુસ્લિમો દ્વારા સ્વીકૃત છે. તેથી તેની પાસેથી બની હાશિમને બદનામ કરનારી આવી પરંપરાઓની અપેક્ષા રાખવી સ્વાભાવિક છે.
  • અબ્દુલ માલિક બીન ઉમૈરના બારમાં:

(૧) અબુ હાતીમના અભિપ્રાય મુજબ અબ્દુલ માલિક બીન ઉમરે ઉમરલાયક થતા પોતાની યાદશકિત ગુમાવી દીધી.

(૨) ઈબ્ને મુઈન અને ઈબ્ને ખરાસ પણ આજ અભિપ્રાય ધરાવે છે.

(૩) એહમદ બીન હમ્બલ કહે છે કે અબ્દુલ માલિકે ઉમૈરે બીન જરૂરી હદીસોનું વર્ણન કર્યું છે.

(૪) અબુ હાતિમ કહે છે કે તેની હદીસોને પુરાવા તરીકે ઉપયોગ કરી ન શકાય.

(૫) અબુ ઝરા કહે છે કે તેની યાદશકિત ખરાબ હતી.

(મીઝાન અલ એઅતેદાલ, ભાગ-1, પા. 396, ભા. 1, પા. 169, ભા. 3, પા. 322, અલ જર્હ વ અલનતહીલ, ભાગ-5, પા. 361, ભાગ-1, 700, અલ તારીખ, ભાગ-2, પા. 273, અલ જર્હ અલ નદીલ, ભાગ-5, પા. 395, ભાગ-1, પા. 833, મીઝાન અલ એઅતેદાલ, ભાગ-2, પા. 128, ભાગ-2, પા. 633, નં 8128)

 

મૂળ લખાણની સમિક્ષા:

હદીસોમાં મૂળ લખાણની સમીક્ષા કરીએ તો આપણને ઘણું વિરોધાભાસ જોવા મળે છે.

દા.ત. આ હદીસોમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જ. અબુ તાલિબ (અ.સ.)ની શફાઅત કરતા જોવા મળે છે, એ છતાં કે, તેઓના કહેવા મુજબ કે હઝરત અબુ તાલિબ (અ.સ.) કાફીર (મઆઝલ્લાહ) હતા. પણ આપણે જોઈશું કે તે શકય નથી કારણકે શફાઅત માત્ર મુસલમાનો માટે શકય છે, કાફીરો માટે નહી.

(એહલે તસન્નુનના) ઘણા અહેવાલો પ્રમાણે પયગમ્બર (સ.અ.વ.)એ હ. અબુ તાલિબ (અ.સ.)ના જીવનના અંતિમ સમયે શફાઅતની શકયતાનો આધાર કલમએ શહાદતૈન પર રાખ્યો છે. તેમણે કહ્યું: ”અય કાકા! અલ્લાહની વહેદાનિય્યતની ગવાહી આપો જેથી હું કયામતના દિવસે તમારી શફાઅત કરી શકું.”

આપ (સ.અ.વ.) એ શફાઅત માટે અલ્લાહની એકતા (તૌહીદ) ને જરૂરી ગણી છે. અને આ દર્શાવતી ઘણી હદીસો છે. દા.ત. ઉમર બીન અબ્દુલ્લાહ કહે છે કે મને મારી જરૂરત (ઈચ્છાઓ/માંગણી) દર્શાવવાનું કહેવામાં આવ્યું, મેં તેને કયામતના દિવસ સુધી મૌકુફ રાખ્યું. (ત્યારે કેહવામાં આવ્યું) કે તમને શફાઅત તો જ નસીબ થશે જો તમે અલ્લાહની વહેદાનિયતની ગવાહી આપો.

(અલ મુસ્તદરક અલા અલા અલ સહીહૈન, ભાગ-2, પા. 332, 366, હ. 291, તલ્ખીસો મુસ્તદરકમાં પણ ઉપરોકત સંદર્ભ. તારીખો અબીલ ફીદા, ભાગ-1, પા. 120, અલ મવાહીબ અલ લદુનિયા, ભાગ-1, પા. 71, 262, શારાનીની કશ્ફુલ ગુમ્મા, ભાગ-2, પા. 144, કન્ઝુલ ઉમ્માલ, ભાગ-7, પા. 128, ભાગ-14, પા. 38, હ. 37874. ઝરકાનીની શર્હે મવાહીબ, ભાગ-1, પા. 291. તગરીબ વલ તરહીબ, ભાગ-4, પા. 150-158, ભાગ-4, પા. 432-437 હદીસ 91, 93, 94, 96, 98, મુસ્નદો એહમદ, ભાગ-2, પા. 444, હ. 7028, અલ મોઅજમ અલ કબીર, ભાગ-18, પા. 59, હ. 108, અલ એહસાન ફી તગરીબ ઈબ્ને હેબાન, ભાગ-14, પા. 376, હ. 6463)

આ ઉપરાંત કુરઆનની ઘણી આયતો એ બાબત તરફ ધ્યાન દોરે છે કે “બેઈમાન લોકોની શફાઅત જરા પણ કબૂલ નહિ થાય અને ન તો તેમના અઝાબને ઓછો કરવામાં આવશે.”

(સુ. નહલ 85, સુ. બકરહ 162, સુ. મુદસ્સીર, 48)

આમ, જે મુસલમાનો જ.અબુ તાલિબ (અ.સ.)ને બેઈમાન સમજે છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગર તેઓના કહેવા મુજબ જ. હ. અબુ તાલિબ (અ.સ.) બેઈમાન હતા તો તેમના માટે શફાઅત ન હોય. અગર તેમને શફાઅત મળી તો જ. હ. અબુ તાલિબ (અ.સ.) બેઈમાન નથી. કુરઆનની આયતો અને હદીસો મુજબ બેઈમાન અને શફાઅત જોડાઈ ન શકે. અગર આપણેએ સ્વિકારીએ કે પયગમ્બર (સ.અ.વ.) એ જ. અબુ તાલિબ (અ.સ.)ની શફાઅત કરી તો સ્પષ્ટ છે કે તેઓ એક મુસલમાન અને મોમીન હતા.

આ વિચાર એહલે તસન્નુનના એ વિધ્વાનોના વિચારોનું સમર્થન કરે છે કે જેઓ તેમના ઈમાનનો સ્વિકાર કરે છે.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*