હ. ઉમરનું ઈલ્મ

વાંચવાનો સમય: 5 મિનિટ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ:

أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا

હું ઈલ્મનું શહેર છુ અને અલી તેના દરવાજા છે.’

રસુલે અકરમ (સ.અ.વ.) ના તમામ સહાબીઓ આ બાબતે એકમત છે કે અલી અ.સ. બધાજ અસ્હાબમાં સૌથી વધારે ઈલ્મ ધરાવે છે. દરેકને એ યકીન હતું કે હઝરત અલી (અ.સ.) ના ઈલ્મની સરખામણીમાં કોઈનું ઈલ્મ નથી. ત્યાં સુધીકે જે લોકોને અલી (અ.સ.)સાથે કોઈ સંબંધ ન હતો અને જેઓ તેમની સાથે જંગ કરતા હતા તેઓએ પણ અલી (અ.સ.)(ના ઈલ્મનો) નો સ્વિકાર કરતા હતા.

આયેશા કહે છે કે: હઝરત અલી (અ.સ) સુન્નતે પયગમ્બર (સ.અ.વ.) ના બારામાં સૌથી વધારે જાણકાર હતા.

મોઆવિયા કહે છે કે: ઉમરની સામે જ્યારે કોઈ મુશ્કીલ પ્રશ્ન ઉપસ્થિત થતો તે હઝરત અલી(અ.સ.) ને (આ બારામાં) સવાલ કરતા હતા અને ખુદ પોતે પણ ઘણા બધા પ્રસંગોએ નીચે મુજબના વાકયો અને તેના જેવા બીજા વાકયો દોહરાવતા હતા.

‘અય ખુદા! મને કોઈ એવી મુશ્કેલીમાં મૂકી ન દેતો કે જ્યારે (તે સમયે) હઝરત અલી (અ.સ.) મૌજુદ ન હોય.’

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ની આ ફઝીલતના મુકાબલામાં એહલે સુન્નતની અમૂક કિતાબોમાં અમૂક ખોટી હદીસો જોવા મળે છે જે ધ્યાનાકર્ષક છે. દા.ત. ઈબ્ને હજરે મક્કી (ખુબજ પુર્વાગ્રહી સુન્ની આલીમ) કે જેણે સવાએકે મોહર્રેકામાં નોંધ્યું છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘હું ઈલ્મનું શહેર છું, અબુબક્ર તેની બુનિયાદ છે, ઉમર તેની દિવાલો છે, ઉસ્માન તેની છત  છે  અને અલી (અ.સ.) તે શહેરના દરવાજા છે.’

અને એહલે સુન્નતની બીજી અમૂક કિતાબોમાં બુઝુર્ગ લોકોએ એક બીજા વાકયનો પણ વધારો કર્યો છે.

“અને મોઆવિયા તેનો હલ્કો (ફરતી દીવાલ) છે.”

બીજી  ખોટી હદીસોમાં ઉલ્લેખ થયો છે કે રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘અગર ઉમરના ઈલ્મને ત્રાજવાના એક પલ્લામાં રાખવામાં આવે અને આ ઝમીનના તમામ ઈન્સાનોના ઈલ્મને બીજા પલ્લામાં રાખવામાં આવે તો ઉમરના ઈલ્મનું પલ્લુ ભારે હશે.’

આ સિલસિલામાં ખાસ આ વાત જાણવી જરૂરી છે કે ઉમર કે અબુબક્રના ઈલ્મના બારામાં હદીસો ઘડવાનું કારણ ફકત એક જ છે અને તે એ કે ખીલાફતને છીનવી લેવાની સ્પષ્ટતા કે તેઓએ ખિલાફતને મેળવી છે,  આ સિવાય બીજું કોઈ કારણ નથી.

એટલા માટે કે એક વાતનો બધાજ લોકો સ્વીકાર છે કે એક ફઝીલત ધરાવનાર વ્યક્તિ ઉપર બીજા ફઝીલત નહિં ધરાવનાર વ્યક્તિને અગ્રતા આપવી તે અક્કલના આધારે સારું કાર્ય નથી.

સામાન્ય રીતે તેમ બનતું પણ નથી હોતુ કે એક પયગમ્બરની ખાસિયત તો ઈલાહી ઇલ્મ અને ખુદાની કુદરતની બુનિયાદ ઉપર હોય પરંતુ તેના ખલીફા અને જાનશીન પયગમ્બરના ઈલ્મના બારામાં સૌથી વધારે ઈલ્મ ધરાવનારા ન હોય. હદીસને બનાવવાવાળા ઘડનારા પોતે પણ ખુદ ઈચ્છા રાખતા હતા કે એક જાહીલ (અજ્ઞાની) શખ્સ ઇલ્મ ધરાવનારાનો ખલીફા હોય શકે નહિં પરંતુ અફસોસ છે કે ઈસ્લામના ઇતિહાસમાં આ અજીબો ગરીબ અને અત્યંત દુ:ખદ બનાવ બન્યો છે અને અમૂક લોકોએ જાણી જોઈને તેનો સ્વીકાર કર્યો છે અને ઈબ્ને હઝમ અને ઈબ્ને તૈયમીયાહ (જેવા પુર્વાગ્રહી લોકો) એ સદંતર જુઠ્ઠ લખ્યું છે કે:

“ઉમર બીન ખત્તાબ પાસે જેટલુ ઈલ્મ હતું એ અલી (અ.સ.) ના ઈલ્મ કરતા અમુક ગણું વધારે હતું અને જે અલી (અ.સ.) ને અઅલમ કહે છે તેનો કૌલ ખોટો છે અને જે કોઈ આ બારામાં મારો વિરોધ કરશે એ જાહીલ છે અથવા તો એવો બેશરમ છે કે જેનું જુઠ અને અજ્ઞાનતા જાહેર છે.”

મુસા જારૂલ્લાહે પણ લખ્યું છે:

“ઉમર કુરઆન અને સુન્નતના બારામાં બધા સહાબીઓમાંથી સૌથી વધારે અફકહ (એટલેકે વધારે ઊંડું જ્ઞાન રાખનાર) હતા”.

આ લોકો આ પ્રકારની ઢંગધડા વગરની અને અક્કલ વિરૂધ્ધની વાતો કરતી વખતે સાચી હદીસોથી અજાણ ન હતા. આ લોકોના બેબુનિયાદ દાવાઓ  અને તેમની હદીસોને બાતિલ સાબિત કરવા માટે અને ખૂબજ ઉંચા પ્રકારનું જુઠ સાબિત કરવા માટે એહલે સુન્નતની કિતાબોનો ટૂંકો અભ્યાસ પૂરતો થઇ રહેશે.

મરહુમ અલ્લામા અમીનીએ તેમની અમૂલ્ય કિતાબ “અલ ગદીર” માં લગભગ ૧૦૦ જગ્યાએ કિતાબોથી ઓળખાણ કરાવી છે કે જેમાં ઉમરે કુરઆન અને પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નતથી અજાણ હોવાનું સ્વીકારેલ છે. જેનું વર્ણન હવે પછી કરવામાં આવશે. જેથી કરીને દરેક (ખાસ કરીને ઈબ્ને તૈયમીયાહ જેવા પુર્વાગ્રહી લોકો) માટે સારી રીતે સ્પષ્ટ થઈ જાય કે ઉમર ન ફક્ત “સહાબાએ અફકહ” અને “પયગમ્બર સ.અ.વ.ના શહેરની દીવાલો” જ ન હતા બલ્કે તે તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની બીજા અમૂક સહાબીઓ ત્યાં સુધી કે પર્દાનશીન ખાતુનો સામે પણ ગોઠણ ટેકવી ચુક્યા છે અને તે બધાજ ઉમરના ઉસ્તાદો કહેવાને લાયક થઇ પડશે.

મુસલમાનોના ખલીફા તય્યમુમ નથી જાણતા:

 મુસ્લીમે પોતાની કિતાબ સહીહે મુસ્લીમમાં પ્રકરણ તય્યમુમમાં અબ્દુરરેહમાનથી ચાર રીતોથી  રિવાયત નકલ કરી છે કે:

એક શખ્સ ઉમરની પાસે આવીને કહે છે કયારેક એવુ બને છે કે હું મુજનીબ (જેના ઉપર ગુસ્લે જનાબત વાજીબ હોય તે) બની જાવ છું અને ગુસ્લ માટે પાણી નથી રહેતુ એવી પરિસ્થિતિમાં નમાઝ પઢું કે નહીં? ઉમરે કહ્યું નમાઝ ન પઢો!! બીજા અમૂક લોકોએ બીજી રીતે નકલ કર્યુ છે કે ઉમરે કહ્યું : અગર હું તમારી જગ્યા ઉપર હોત તો ત્યાં સુધી નમાઝ ન પડત જ્યાં સુધી કે પાણીની વ્યવસ્થા ન થઈ જાય!!!  આ સમયે અમ્મારે યાસીર હાજર હતા. તેમણે કહ્યું અય ખલીફા! તમને યાદ છે કે જ્યારે હું અને તમે એક જંગમાં સાથે હતા અને મુજનીબ હતા તેમજ ગુસ્લ માટે પાણી ન હતું ત્યારે તમે નમાઝ ન પઢી અને મેં પોતાની જાતને માટીમાં મસ્સ કરી (તયમ્મુમ) અને નમાઝ અદા કરી પછી રસુલે ખુદા (સ.અ.વ.)ની બારગાહમાં હાજર થયા (ત્યારે રસુલે ખુદા (સ.અ.વ.) એ મારા કાર્યનું સમર્થન કર્યું (સાચુ ગણાવ્યુ) અને તમારા કાર્યને બાતિલ ઠેરવ્યું ત્યારબાદ રસુલે અકરમ (સ.અ.વ.) એ તયમ્મુમની રીત બતાવી કે પોતાના બંને હાથ ઝમીન ઉપર મારો અને પોતાના હાથો અને ચહેરાનો તેના વડે મસહ કરો. ઉમર બીન ખત્તાબે અમ્મારે યાસીરને કહ્યું: અય અમ્માર! ખુદાથી ડરો. અમ્મારે જવાબ આપ્યો, અય ખલીફા! અગર તમે ચાહશો તો હું ખામોશ રહીશ, બોલીશ નહીં.

વાત એમ છે કે શું મુસલમાનોના ખલીફા એ કુરઆનમાં તયમ્મુમની આયત પઢી ન હતી કે જેમાં ઈરશાદ થાય છે કે:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ

અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે નમાઝ માટે તૈયાર થઇ જાઓ ત્યારે તમારા મોઢા ધોઈ નાખો અને તમારા હાથ કોણીઓ સુધી અને તમારા માથાનો તથા ઘુંટી સુધી પગનો મસાહ કરી લો અને જો તમે નાપીકીની હાલતમાં હો તો નાહી લો અને અગર તમે માંદા હોય અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઇ પાયખાનામાંથી આવ્યો હોય અથવા સ્ત્રીઓને અડકયો હોય પછી જો તમને પાણી ન મળે તો પાક માટી વડે તયમ્મુમ કરી લો અને તે વડે તમારા મોઢા તથા તમારા બેઉ હાથનો મસાહ કરી લો; અલ્લાહ તમને અગવડતામાં મુકવા નથી ચાહતો, બલ્કે તે તમને પવિત્ર કરવા તથા તમારા પર પોતાની નેઅમત પૂર્ણ કરવા ચાહે છે કે જેથી તમે આભારી બનો.”

(સુ. માએદાહ-૬)

મુસલમાનોના ખલીફાએ એક મુજનીબ ઈન્સાનને કઈ રીતે વાજીબાતને તર્ક કરવાનો હુકમ આપી દીધો?!! પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની નબુવ્વતની જીંદગી ખુદ પરવરિદગારનો હુકમ અને ઈબાદત હોય તેનો વારીસ કઈ રીતે એક મસઅલામાંથી અજાણ હોય શકે છે?

શું કુરઆન અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.)ના બારામાં “અફ્કહે સહાબા” થી મુરાદ આવાજ છે?

એહલે સુન્નતના આલીમોએ પોતાના ખલીફાની આબરૂની સુરક્ષા માટે અને તેમને બેઈઝઝતી અને અપમાનથી બચાવવા માટે દરેકે અલગ અલગ પદ્ધતિ અપનાવી છે.

બુખારીએ પોતાની કિતાબ સહીહમાં ઉપરોક્ત હદીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ઉમરનો જવાબ ખાય ગયા (લખ્યો નથી) જેમાં પૂછનારને કહ્યું હતું: “નમાઝ ન પઢો”. પરંતુ અમ્મારે યાસીરની વાતને નકલ કરી છે. હકીકતમાં બુખારી એ વાતથી અજાણ હતા કે અમ્મારે યાસીરનો જવાબ સચ્ચાઈ (હકીકત)ને લોકોની સામે સ્પષ્ટ કરી દેશે.

અમૂકે ખલીફાના જવાબ “નમાઝ ન પઢો” ના બદલે લખ્યું છે કે ખલીફાને જવાબની ખબર ન હતી એટલેકે તેને ખબર ન હતી કે જવાબ શું છે.

અમૂક લોકોએ તો કંઇક અલગ જ બયાન કર્યુ છે કે ખલીફાએ ઈજતેહાદ કર્યો અને તયમ્મુમની આયતને હદસે અસ્ગરથી મખ્સુસ જાણતા હતા. તેના ઈજતેહાદે તેને આ બાબતે તૈયાર કર્યા કે મુજનીબ શખ્સ તયમ્મુમ ન કરે. આ લોકો તેની ઉમરના મશહુર ફતવાઓમાંના એક મશહુર ફતવામાં ગણતરી કરે છે!!!

કુરઆન અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.)ની થોડીક પણ જાણકારી રાખનાર ઉમ્મતના લોકો એ કહી શકે છે ખલીફાનો ઈજતેહાદ કુરઆન અને નસ્સની વિરુદ્ધમાં છે.

(અને જે શખ્સ કુરઆન અને નસ્સની વિરુદ્ધમાં ઈજતેહાદ કરે છે. તે કુરઆનથી બગાવત કરનારામાં શામેલ થાય છે.)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*